તુર્કી અને સિરિયામાં ગઈકાલે વહેલી સવારે આવેલા 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે મૃત્યુઆંક 2 હજાર 300 થઈ ગયો છે.
તુર્કીમાં અત્યારસુધી ઓછામાં ઓછા 1 હજાર 541 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે સીરિયામાં 810 લોકોના મોત નોંધાયા છે. હજારો લોકો આ વિનાશક ધરતીકંપમાં ઘાયલ થયા છે અને ઘણાં લોકો હજુ પણ કાટમાળ હેઠળ ફસાયેલા હોવાનું માનવામાં આવે છે, અને આ આંકડો હજુ વધવાની ધારણા છે. ગઈકાલે ધરતીકંપની ધ્રુજારીઓ તુર્કી, સીરિયા, લેબનોન, સાયપ્રસ અને ઇઝરાયેલમાં અનુભવાઈ હતી.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગને આ ભૂકંપને વર્ષ 1939 પછીની સૌથી મોટી આપત્તિ ગણાવી છે. સમગ્ર ઘટના બાદ ભારત અને અન્ય દેશો આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં મદદ કરી રહ્યા છે અને ભારત સરકારે NDRFની બચાવ અને તબીબી ટીમોને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી મોકલવાનો નિર્ણય લીધો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. (AIR NEWS)