પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી "આઝાદીના અમૃતમહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ" નામના કાર્યક્રમનો શુભારંભ કરશે. કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય અને બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત આ મહોત્સવને સંસ્થાના આબુ રોડ મુખ્યાલયથી સવારે સાડા દસ વાગ્યે ખુલ્લો મુકવામાં આવશે. બ્રહ્માકુમારી સંસ્થાના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાબાની ૫૩મી પુણ્યતિથીના અવસર પર આયોજિત રાષ્ટ્રીય સ્તરના આ મહોત્સવમાં કુલસાત જેટલા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જેમાં 'મારુભારત સ્વસ્થ ભારત' તળે વેકસીનેશન અભિયાન, 'આત્મનિર્ભર ખેડૂત' દ્વારા ખેડૂતોમાં યોગીક અને ઓર્ગેનિક ખેતી અંગે જાગૃતિ,મહિલાઓ નવા ભારતની ધ્વજવાહક અભિયાન, 'અનદેખાભારત' નામથી સાયકલ રેલી, માર્ગ સુરક્ષા માટે દેશભરમાં ૧૫૦ બાઇક રેલી તેમજ આબૂ રોડથી દિલ્હી જનાર 'એક ભારત શ્રેષ્ઠ ભારત' મોટર સાઇકલ રેલી અને યુવાઓને સશક્ત બનાવવા માટે બસ યાત્રા, સ્વચ્છ ભારત અભિયાન વગેરેનો સમાવેશ થાય છે. આ અંગેની માહિતી આપતા બ્રહ્માકુમારીઝ સંસ્થાના કાર્યકારી સચિવ શ્રી બી.કે.મૃત્યુંજય એ જણાવેલ કે બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય પ્રશાસિકા રાજયોગીનીદાદી રતન મોહિનીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે. જેમાં ન્યૂયોર્કથી બ્રહ્માકુમારી સંસ્થાના અધિક મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે.મોહિની સહભાગી થશે. રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી કિશનરેડ્ડી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મહોત્સવને સંબોધિત કરશે. એક વર્ષ સુધી ચાલનાર આ અભિયાન હેઠળ ૧૦ હજાર કાર્યક્રમો યોજાશે, જેના દ્વારા ૧૦ કરોડ લોકોને જાગૃત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે. આ મહોત્સવનું સમાપન સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન, આબુરોડ ખાતે આગામી ૪ થી ૮ નવેમ્બર દરમિયાન થશે. માય ઈન્ડિયા હેલ્ધી ઈન્ડિયા પહેલમાં તબીબી શિબિરોનું આયોજન, કેન્સર સ્ક્રીનીંગ, ડોકટરોઅને અન્ય આરોગ્ય સંભાળ કાર્યકરો માટે પરિષદનો સમાવેશ થાય છે. આત્મનિર્ભર ભારતમાં આત્મનિર્ભર ખેડૂતો માટે 75 ખેડૂત સશક્તિકરણ ઝુંબેશ, 75 ખેડૂત પરિષદો, 75 ટકાઉ યોગિક ખેતી તાલીમ કાર્યક્રમો અને ખેડૂતોના કલ્યાણ માટે આવા અન્ય ઘણા કાર્યક્રમો યોજવામાં આવશે. અમારા સંવાદદાતા જણાવે છે કે પાવર ઓફ પીસ બસ અભિયાન 75 શહેરો અને તાલુકાઓને આવરી લેશે અને આજના યુવાનોના સકારાત્મક પરિવર્તન પર એક પ્રદર્શન કરશે. (AIRNEWS)