પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન, ઑસ્ટ્રેલિયના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં યુક્રેનની વર્તમાન પરિસ્થિતી અને તેનાથી સામન્ય જનજીવન પર પડી રહેલી અસરો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંવાદ અને મુત્સદ્દીગીરીનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી કહ્યું કે ક્વાડે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના તેના મુખ્ય ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેઓએ માનવતાવાદી અને આપત્તિ રાહત, ધિરાણ સ્થિરતા, પુરવઠા શૃંખલા, સ્વચ્છ ઉર્જા, કનેક્ટિવિટી અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ક્વાડની અંદર સહકારના નક્કર અને વ્યવહારિક સ્વરૂપો માટે આહવાન કર્યું હતું. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદરનું પાલન કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. બેઠકમાં સપ્ટેમ્બર 2021 ક્વાડ સમિટ પછી ક્વાડ દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ વર્ષના અંતમાં જાપાનમાં યોજાનારી સમિટના નક્કર પરિણામો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે નેતાઓએ સહકારને વધુ અસરકારક બનાવવા સંમત થયા હતા. તમામ નેતાઓ જાપાનમાં આગામી સમિટના મહત્વાકાંક્ષી એજન્ડા અનુરૂપ કાર્ય કરવા સંમત થયા હતા. (AIR NEWS)