રાજ્યમાં રાજ્યવ્યાપી 'શાળા આરોગ્ય તપાસણી'કાર્યક્રમનો આરંભ આજથી થશે. જે 30 જાન્યુઆરી 2020 સુધી ચાલશે. આ કાર્યક્રમમાં દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વામિનારાયણ ગુરૂકુળ ગાંધીનગરથી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ કલોલ તાલુકાના ઇસંડ ખાતેથી શુભારંભ કરાવશે.
નવજાત શિશુથી માંડી પાંચ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો તથા ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ હાથ ધરાશે અને કોઈ રોગ માલૂમ પડે તો તેની વિનામુલ્યે સારવારની વ્યવસ્થા રૂપાણી સરકાર દ્વારા કરાશે. શાળાએ ન જતા હોય તેવા ૧૮ વર્ષથી નીચેના બાળકોને પણ આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાશે.
બાળકના પરિવારમાં આરોગ્યપ્રદ સંસ્કારના નિર્માણ માટે ‘દાદા-દાદી’ અને ‘વાલી મીટીંગ’ નું આયોજન દરેક શાળામાં થશે. ઉપરાંત શાળા દીઠ "આરોગ્ય સપ્તાહ" ની ઉજવણીનું પણ આયોજન છે. બાળકોને હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં સુપર સ્પેશ્યાલીટી સારવાર વિના મૂલ્યે ઝડપથી મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે. (AIR NEWS)