આજે વિશ્વ કેન્સર દિવસ છે. રાજયભરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ સર્જવા અમદાવાદના આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિતે ૧૦૦ જેટલી બહેનોનું વિનામૂલ્યે ચેકઅપ અને નિદાન કરી આપવામાં આવશે. શ્રી પટેલે જણાવ્યું હતું કે સ્તન કેન્સર અંગે સમાજમાં જાગૃતિ સર્જવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્તન કેન્સર અંગેના સોનોગ્રાફી અને મેમોગ્રાફી જેવા મોંઘા પરીક્ષણ પણ રાહત દરેથી કરી આપવામાં આવશે.
વિશ્વ કેન્સર દિવસ નિમિતે સ્તન કેન્સર અંગે જાગૃતિ સર્જવાના અભિયાનમાં સામેલ બ્રેસ્ટ કેન્સર ના જાણીતા સર્જન ડૉક્ટર શેફાલી દેસાઈએ જણાવ્યું હતું કે જીવનશૈલીમાં ફેરફારને કારણે હવે મહિલાઓમાં યુવાન વયે પણ આ કેન્સર જોવા મળે છે. તેમણે કહ્યું કે શરૂઆતના સ્ટેજમાં સ્તન કેન્સરને ડિટેક્ટ કરવા માટે સમાજમાં જાગૃતિ અને મહિલાઓમાં નિયમિત પરીક્ષણ ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર શેફાલી દેસાઈએ જણાવ્યું કે મહિલાઓની સાથે કેટલાક કિસ્સાઓમાં પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.
ભાવનગરમાં વર્લ્ડ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે વિવિધ વિભાગોમાં કેન્સરના રોગોનું નિદાન , સલાહ અને જરૂરી સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉજવણીની થીમ ક્લોઝ દ કેર ગેપ – એવરી વન ડિઝર્વઝ એક્સેસ ટુ કેન્સર કેર સાર્થક થાય તે માટે તબીબી અધિક્ષકે જણાવ્યું છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી કેન્સર વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાં દર્દીઓને પેલીએટીવ કેર એટલે કે સુશ્રુષા સારવારતેમજ સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં કિમોથેરાપી સારવાર મળતાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરના દર્દીઓને દૂર જવાની જરૂર રહેતી નથી.
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર આપતા ડો.મીના શાહે જણાવ્યું કે, અહીં વર્ષે 3 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
મહિલાઓ માટે પેપ ટેસ્ટની સુવિધા પણ છે. રાજકોટ કેન્સર સેન્ટર ખાતે પાંચ ફુલટાઇમ ડોક્ટર્સ , વિઝિટીંગ ડોક્ટર્સ તેમજ ગાયનેક ડોક્ટર્સ સારવાર આપી રહ્યા છે. (AIRNEWS)