કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓને કોરોના વાઇરસના સંભવિત હુમલા સામે સતર્ક રહેવાની અને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવાની સૂચના આપી છે. સરકારે કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને જણાવ્યુ છે કે સરકાર સમગ્ર પરિસ્થિતી ઉપર ચાંપતી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે સાવચેતીના પગલારૂપે થાઇલેન્ડ અને સિંગાપુરથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જાતે પરિસ્થિતી ઉપર નજર રાખી રહ્યા છે.
દરમ્યાન ચીનમાં ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનથી પરત ફરી રહ્યા છે. અત્યાર સુધી પાછા ફરેલા 64 વિદ્યાર્થીઓને ઘરમાં જ નિરિક્ષણ હેઠળ રખાયા છે. અત્યાર સુધીમાં એકપણ વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી.
કેબિનેટ સચિવે કોરોના વાયરસ અંગે સજ્જતાની સમિક્ષા કરવા ગઇકાલે દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
આરોગ્ય અને કુટંબ કલ્યાણ, વિદેશ બાબત , ગૃહ , નાગરિક ઉડ્ડયન , આરોગ્ય સંશોધન વિભાગોના સચિવો તથા ITBP,AFMS અને NDMA ના પ્રતિનિધીઓ આ બેઠકમાં હાજર હતા. કેબિનેટ સચિવે અત્યાર સુધીમાં છ સમિક્ષા બેઠકો યોજી છે. દરમ્યાન સરકારે પ્રવાસન અંગે ગઇકાલે જારી કરેલી સુચનામાં ચીનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. એવીજ રીતે 15મી જાન્યુઆરી પછી ચીન થી પાછા ફરેલા મુસાફરોની તબીબી તપાસ કરાશે.
અત્યાર સુધી ભારત આવેલા 58 હજાર 658 મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી છે. આ પૈકી 130 વ્યકિતઓના સેમ્પલોની ચકાસણી કરવામા આવી છે. આ પૈકી 128નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. કેરળમાં નોંધાયેલા કોરોનાના બે દર્દીઓની સ્થિત હાલ સ્થિર છે.
એર ઇન્ડિયાના બીજા વિમાન દ્વારા સાત માલદિવના નાગરિક સહિત કુલ 330 મુસાફરો ગઇકાલે ચીનના વુહાનથી ભારત પાછા ફર્યા છે.
તામિલનાડુના આરોગ્ય વિભાગે કોરોના વાયરસના વાવર અંગે ડર નહિં રાખવાની નાગરિકોને સુચના આપી છે. એવીજ રીતે તેમણે કોરોના અંગે બનાવટી સમાચારોનો પ્રસાર નહીં કરવાની અપીલ લોકોને કરી છે.
સોશિયલ મિડિયા ઉપર કોરોના વાયરસ તામિલનાડુમાં પ્રવેશ્યો હોવાનો ફેલાયેલા બનાવટી સમાચારના પગલે સત્તાવાળાઓએ અપીલ જારી કરી છે.
તબીબી નિષ્ણાંતોએ જણાવ્યું છે કે નિયમિત રીતે હાથ ધોવા તેમજ ખાસી આવે તો રૂમાલ અથવા ટીસ્યુ પેપરના ઉપયોગ જેવા ઘણા સાવચેતીના પગલા લેવાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.
દિલ્હી ખાતેની એઇમ્સ સંસ્થાના પ્રોફેસર રણદિપ બુલેરીયાએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકોએ ખાસ કરીને ચીનથી પાછા ફરેલા લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
શ્રી બુલેરીયાએ કહ્યું કે વરિષ્ટ નાગરિકો , બાળકો અને હ્રદય અને ફેફસાંની બિમારીથી પીડાતા લોકોએ સરદી અને ખાંસીની તકલીફવાળા દર્દીઓથી અંતર રાખવું જોઇએ. (AIR NEWS)