રાજ્યભરમાં 12મી જૂનથી ઇ-પાસ સિસ્ટમ અમલી બનશે. વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે ઇ- પાસ સિસ્ટમનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
રાજયમાં હાલ નિગમ દ્વારા 10 લાખથ વધુ વિદ્યાર્થીઓને રાહત દરના પાસ આપવામાં આવે છે. નિગમના મુસાફરો તેમજ વિદ્યાર્થીઓએ લાઇનમાં ઉભું ન રહેવું પડે અને ઓનલાઇન પેમેન્ટ તેમજ વિદ્યાર્થીઓના વેરિફિકેશન થકી ત્વરિત આઈ કાર્ડ પાસ મેળવી શકાય તેવા હેતુથી ઇ. પાસ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે.
આ ઇ પાસ મેળવવા pass.gsrtc.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, નવી ઈ-પાસ સિસ્ટમના અમલીકરણથી રાજ્યમાં ડિજિટલ ક્રાંતિને વેગ મળશે. હાલમાં આ સિસ્ટમનો ઉપયોગ ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધારે કરી રહ્યા છે. આગામી સમયમાં રાજ્યની આઈ.ટી.આઈ. તથા કોલેજોનો સમાવેશ કરવાની કામગીરી હાથ ધરાશે. (AIR NEWS)