ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપોનો સમાપન સમારોહ યોજાઈ ગયો. જોકે ગાંધીનગર હેલીપેડ ખાતે યોજાયેલ પ્રદર્શન જાહેર જનતા માટે બે દિવસ ચાલુ રહેશે. આ વખતના ડિફેન્સ એક્સપોમાં 451 સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરાયા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, આ પ્રદર્શને સમગ્ર વિશ્વને ભારતની સંરક્ષણ ક્ષેત્રની ક્ષમતાનો પરિચય આપ્યો છે.
આ પ્રદર્શને પૂરવાર કર્યું છે કે, ભારત સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વનું કેન્દ્ર બનશે. ભારતની DRDO સંસ્થા અને ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે ટેકનોલોજી હસ્તાંતરણ માટે સમજૂતીઓ થઈ હતી.
શ્રી રાજનાથસિંહે કહ્યું કે, સ્વદેશી બનાવટની બ્રાહ્મોસ મિસાઈલ અને તેજસ યુદ્ધ વિમાનની ખરીદીમાં ઘણા દેશોએ રસ દાખવ્યો છે. આ પ્રદર્શન અંગે વિદેશી પ્રતિનિધિઓએ દર્શાવેલા મંતવ્યો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધતા જતા પ્રભાવને દર્શાવે છે. (AIR NEWS)