આજે હનુમાન જયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
હનુમાન જયંતિના અવસર પર દરેક દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયાભરના હનુમાન ભક્તો માટે આ એક ખૂબ જ અનેરો અવસર છે.
હનુમાનજી પોતાની ભક્તિ અને સેવા ભાવથી બધાને એકબીજા સાથે જોડે છે. દરેક વ્યક્તિએ હનુમાનજીથી પ્રેરણા લેવી જોઈએ.
એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારમાં હનુમાનજી એક મહત્વનું સૂત્ર છે. મોરબી આજે ઔદ્યોગિક ઉત્પાદનમાં આગળ પડતો ભાગ ભજવે છે. અને હજુ મોરબીએ ભવ્ય બનવાનું છે.આફતને અવસરમાં પલટવાની તાકાત મોરબીમાં છે.
શ્રી મોદીએ વોકલ ફોર લોકલની અપીલ કરતાં કહ્યું હતું કે, જો દરેક દેશવાસી આપણા દેશમાં જ બનતી વસ્તુઓની ખરીદી કરે તો આપણે અસંખ્ય લોકોને રોજગારી આપી શકીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશની ચારેય દિશામાં હનુમાનજીની ચાર પ્રતિમાઓ સ્થાપિત કરવાની હનુમાનજી ચાર ધામ પરિયોજનાના ભાગરૂપે આ બીજી પ્રતિમા ગુજરાતમાં મોરબીમાં સ્થાપવામાં આવી છે.
મોરબીમાં બાપુ કેશવાનંદજી આશ્રમમાં આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
આ અગાઉ પહેલી પ્રતિમા શિમલામાં સ્થાપવામાં આવી હતી. જ્યારે દક્ષિણમાં રામેશ્વરમાં ત્રીજી પ્રતિમાનું નિર્માણકાર્ય હાલ પ્રગતિમાં છે. (AIR NEWS)