ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિને ઉદ્યોગ તરીકે જોવા કરતાં વિકાસની તક અને ભવિષ્ય માટે આગેકૂચ તથા સંતુલન જાળવવાની તક તરીકે જોવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને માત્ર પાક આધારિત આવક પદ્ધતિમાંથી બહાર કાઢીને મૂલ્યવર્ધન અને અન્ય ખેતી વિકલ્પો માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ લક્ષણો ધરાવતી પાકની વિવિધ 35 જાતોને સમર્પિત કરતી વખતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે આબોહવા પરિવર્તનને કારણે નવા અને સ્થાનિક રોગ દેખાઈ રહ્યા છે. તે મનુષ્ય અને પશુધનના સ્વાસ્થ્ય માટે મોટું સંકટ ઉભું કરી રહ્યા છે. તેઓ પાકને પણ અસર કરી રહ્યા છે અને આ મુદ્દાઓ પર સઘન સંશોધન જરૂરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે બદલાયેલી આબોહવાના સંજોગોમાં, ભારત આબોહવા-સ્થિતિસ્થાપક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને વિકસિત બિયારણ જાતોની શ્રેણીની આગાહી કરશે. આ જાતો કુપોષણને દૂર કરવામાં અને પાકને બચાવવામાં મદદ કરશે. શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીની સાથે કૃષિનો વિકાસ ભારતની અર્થવ્યવસ્થાના વિકાસ માટે હિતાવહ છે. તેમણે કહ્યું કે, છેલ્લા 6 થી 7 વર્ષમાં કૃષિમાં પડકારોના ઉકેલ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોને જમીનની સુરક્ષા માટે અગિયાર કરોડ સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. ખેડૂતોને જળ સુરક્ષા આપવા માટે સિંચાઈ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. 100 જેટલી પડતર સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું કે લઘુતમ ટેકાના ભાવ વધારવાની સાથે, કેન્દ્રએ ખરીદી પ્રક્રિયામાં પણ સુધારો કર્યો છે જેથી વધુને વધુ ખેડૂતોને લાભ મળી શકે. પ્રધાનમંત્રીએ રાજ્યોને ભારતીય બાજરીને આંતરરાષ્ટ્રીય બજારમાં લઇ જવા માટે કાર્યદળની રચના કરવા જણાવ્યું હતું. તેમણે ઉચ્ચ ગુણવત્તાના ફાર્મ ડેટા અને વાસ્તવિક ઉકેલ મેળવવા માટે આધુનિક ડ્રોન અને સેન્સરનો ઉપયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. (AIR NEWS)