વિધાનસભા ચૂંટણી જીતવા માટે મતદારોને રીઝવવા રાજકીય પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે પહેલી સભા કાંકરેજ ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં નર્મદાના પાણી અને પશુપાલન ઉપર બનાસકાંઠાની આર્થિક સ્થિતિ બહેતર બની હોવાનો દાવો તેમણે કર્યો હતો અને ઉમેર્યું હતું કે, પરિવાર માટે પૂરક આવક ઊભી કરવા માટે કાંકરેજી ગાય રાખવાનો વિચાર છેક બનારસ સુધી પહોંચ્યો છે. ભાજપ શાસનની સંવેદનશીલતાનો દાખલો આપતા તેમણે કહ્યું હતું કે, કોરોનાકાળમાં અનાજ મફત પહોંચાડીને ગરીબના ઘરનો ચૂલો સળગતો રાખ્યો હતો, તો બીજી બાજુ વેક્સિન પણ વિનામૂલ્યે સૌને ઉપલબ્ધ બની હતી.
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટણની સભામાં ભાજપ શાસનમાં થયેલા વિકાસની રૂપરેખા અનેક દાખલા સાથે રજૂ કરી હતી. પાટણને પાણી માટે બલિદાન આપનારી ધરતી તરીકે ઓળખાવતા તેમણે જાહેરાત કરી હતી કે, "વીર મેઘમાયા"ના નામે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે પણ સભા સંબોધી ત્યારબાદ અમદાવાદના સરસપુર ખાતે પણ સભા યોજાયઈ હતી.
સભા સ્થળે પહોંચવા માટે તેમણે મેગા રોડ- શો કરી અમદાવાદના કોટ વિસ્તારને આવરી લીધો હતો. નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે રોડ-શો થોભાવી તેમણે દર્શન અને આરતી કરી હતી. (AIR NEWS)