ભારત અને નેપાળે આજે વેપાર અને વાણિજ્ય, સરહદ પર પેટ્રોલિયમ પાઈપલાઈન, સંકલિત ચેકપોસ્ટનો વિકાસ, જળવિદ્યુત પ્રોજેક્ટ અને ચુકવણી તંત્ર સહિતના ક્ષેત્રોમાં સાત કરારો પર હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ વચ્ચે નવીદિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચર્ચા-વિચારણા દરમિયાન, બંને નેતાઓએ અર્થતંત્ર, ઉર્જા, માળખાં, શિક્ષણ અને જન સંપર્કના ક્ષેત્રોમાં ભારત-નેપાળ સંબંધોને વધારવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બંને પ્રધાનમંત્રીઓએ બથનાહાથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની ભારતીય રેલવે કાર્ગો ટ્રેનને સંયુક્ત રીતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે રૂપૈદિહા-નેપાલગંજ અને સુનૌલી-ભૈરહવા વચ્ચે એક સંકલિત ચેકપોસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત મોતીહારી- અમલેખગુજ ખનીજ તેલ પાઈપલાઈનના બીજા તબક્કાના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. બંને નેતાઓએ ગોરખપુર-ન્યૂ બુટવાલ સબ સ્ટેશન ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની પણ શરૂઆત કરી.
બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 2014માં નેપાળની પ્રથમ મુલાકાત દરમિયાન ભારત- નેપાળ સંબંધો માટે ફોર્મ્યુલા આપી હતી અને તેમાં હાઇવે, આઈ વે અને ટ્રાન્સ વે માં ભાગીદારી પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઘણા ક્ષેત્રોમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. આજે આ ભાગીદારીને આગળ વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે, આજે ટ્રાન્ઝિટ કરાર પૂર્ણ થયો છે જે બંને રાષ્ટ્રો વચ્ચે જોડાણ વધારશે. ભારતે આગામી 10 વર્ષમાં નેપાળથી 10 હજાર મેગાવોટ વીજળી આયાત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેઓએ નક્કી કર્યું છે કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને વધુ વેગ આપવા માટે રામાયણ સર્કિટ સંબંધિત પ્રોજેક્ટને ઝડપી બનાવવો જોઈએ.
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના આર્થિક અને વિકાસલક્ષી પરિવર્તનની પ્રશંસા કરી અને કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો વર્ષો જૂના અને બહુપક્ષીય છે. ચાર દિવસની ભારતની
મુલાકાતે આવેલા નેપાળના પ્રધાનમંત્રીએ આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કીધી હતી. આજે સવારે તેમણે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.
નેપાળના પ્રધાનમંત્રી ગઈકાલે ભારતની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે નવીદિલ્હી પહોંચ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તા સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. આ મુલાકાત ભારતની પડોશી પહેલાની નીતિને આગળ ધપાવવા માટે ભારત અને નેપાળ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ચાલુ રાખે છે. ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં સહકારના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. નેપાળના પ્રધાનમંત્રીની મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપવા માટે બંને પક્ષો દ્વારા આપવામાં આવતા મહત્વને રેખાંકિત કરે છે. શ્રી પ્રચંડ આવતીકાલે ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકાત લેશે. (AIR NEWS)