ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજે ક્રિકેટના તમામ પ્રકારના ફોર્મેટ માંથી નિવૃતિ જાહેર કરી છે. ગુજરાતની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે અનેક વિક્રમ સર્જી ચૂકેલા પાર્થિવ પટેલે આજે સવારે ટ્વિટ દ્વારા પોતાની નિવૃતિ જાહેર કરી હતી. ગુજરાત ને વર્ષ 2016-17માં રણજી ટ્રોફીનું સૌ પ્રથમ ટાઇટલ જિતાડનાર પાર્થિવ પટેલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં 17 વર્ષની ઉમરે કરી હતી. ઈંગ્લેન્ડ સામેની એ ટેસ્ટ શ્રેણીથી શરૂ કરનાર પાર્થિવ પટેલે કુલ 25 ટેસ્ટ મેચ રમી છે, અને 31ની સરેરાશ સાથે 934 રન કર્યા છે. તેમણે 38 વનડે અને બે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ પણ રમ્યો છે. પોતાની છેલ્લી ટેસ્ટ મેચ તેમણે વર્ષ 2018માં જોહનિસબર્ગ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
સારા વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન પાર્થિવ પટેલે આઈ.પી.એલ. ક્રિકેટમાં પણ જુદી જુદી ટીમો તરફથી રમીને સારો દેખાવ કરેલો અને બે વખત ચેમ્પિયન ટીમનો હિસ્સો પણ રહેલા. અમદાવાદમાં સ્કૂલ ક્રિકેટથી શરૂ કરીને રણજી ટ્રોફીમાં ગુજરાતને લાંબો સમય સુધી નેતૃત્વ આપનાર પાર્થિવ પટેલ તેમની ફિટનેસ માટે પણ જાણીતા હતા. (AIR NEWS)