રાજ્ય સરકારે, 36 પૈકી 18 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ગઈકાલથી ઊઠાવી લીધો છે. જ્યારે આઠ મહાનગરપાલિકા સહિત 18 શહેરોમાં રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણો યથાવત રાખ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય ગઈકાલથી બે સપ્તાહ સુધી અમલમાં રહેશે.
રાજ્યના આઠ મહાનગરો સહિત વાપી, અંકલેશ્વર, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીનગરમાં રાત્રિ કરફ્યૂનો અમલ રાતના 10થી સવારના છ વાગ્યા સુધી યથાવત રહેશે.
કરફ્યૂવાળા 18 શહેરોમાં દુકાન, મોલ, રેસ્ટોરન્ટ ધરાવતાં બધા જ લોકોને 30મી જુન સુધીમાં કોવિડની રસી ફરજિયાત લેવાની રહેશે.
અન્ય મહત્વના નિર્ણયો આ મુજબ છે. રાત્રિ કરફ્યૂવાળા 18 શહેરોમાં હોટેલ, રેસ્ટોરન્ટ 60 ટકાની ક્ષમતા સાથે રાત્રે નવ વાગ્યા સુધી જ્યારે હોમ ડિલિવરી રાત્રિ 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
લગ્ન પ્રસંગમાં 100 લોકો જ્યારે અંતિમક્રિયામાં 40 લોકો ઉપસ્થિત રહી શકશે.
એવી જ રીતે સીનેમાઘરો અને ઓડિટોરિયમ્સ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. (AIR NEWS)