રાજ્યમાં ગઇકાલ સાંજ સુધીમાં 6 હજાર 636 કોરોના દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે અને વધુ 14 દિવસ ઘરમાં અલાયદા રહેવાની સૂચના અપાઇ છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે સાંજે બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર ગઇકાલે સાંજે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 405 નવા કેસ નોંધાયા હતા અને 30 દર્દીઓના મોત નિપજયા હતા. જયારે 224ને રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 14 હજાર 468 થઇ છે અને મૃત્યુ પામનારનો કુલ આંક 888 થયો છે.
વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યા છે.
ગઇકાલે અમદાવાદમાં વધુ 310 નવા કેસ નોંધાયા છે. જયારે વડોદરામાં 18, સુરતમાં 31, ગાંધીનગરમાં 4, રાજકોટમાં 1 અને ભાવનગરમાં 2 દર્દીઓ નવા મળી આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ગઇકાલે સાંજે પૂરા થયેલા 24 કલાક દરમિયાન વધુ 12 કોરોના પોઝીટીવ કેસ મળી આવતાં આરોગ્ય તંત્રે કામગીરી સઘન બનાવી છે.
તે પૈકી વડાલી તાલુકામાં પાંચ કેસ, પોશીનામાં બે , તલોદમાં બે, હિંમતનગરમાં એક, અને ખેડબ્રહ્મામાં એક એમ નવા ૧૧ કેસ નોધાયા હતા.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મયાસી ગામમાં એક જ પરિવારના વધુ ત્રણ કેસ આજે પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા .
રાજપીપળાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે.
તમામને રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. અગાઉ 13 કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં કુલ નર્મદામાં પોઝિટિવ કેસનો આંકડો 18 નો થયો છે
નાંદોદ તાલુકાના મયાસી ગામને કન્ટેન્ટમેનટ ઝોન જાહેર કરી ગામના 55ઘરો ના 289 લોકોને આવરી લેતા વિસ્તારને સીલ કરી દેવાયો છે.
ટીમ દ્વારા પોઝિટિવ વિસ્તારમાં દરેક લોકોનું સો ટકા સ્ક્રિનિંગ કરાવ્યું છે. (AIR NEWS)