રાજ્યમાં પહેલી મે થી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારીને મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. કોરોના સામે લડવા માટે રસી એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોનું રસીકરણ શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું. રસીકરણના ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોના રસીકરણને આવરી લેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે ગઈકાલે આ નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોના રસીકરણ માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે (AIR NEWS)