મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સાતમી આર્થિક ગણતરીની કામગીરીનો ગઇકાલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો.
ભારત સરકારના સાંખ્યીકી મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં દેશના તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઇ ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિઓની તેમજ ઘરની બહાર કોઇ ચોક્કસ માળખા વગર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે લારી વગેરેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
રાજયમાં અંદાજે ૪૦,૦૦૦થી વધુ ગણતરીદારો અને ૬૫૦૦થી વધુ સુપરવાઇઝરો મારફત મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગથી તેઓ આ માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે.
આ આર્થિક ગણતરીના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાની દેખરેખની કામગીરી, ભારત સરકાર દ્વારા Common Service Centre ને સોંપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાની કામગીરી કરવા માટે CSC દ્વારા ઇ-ગ્રામનો સહયોગ લેવાશે.
ઉલ્લેખનીય છે કે, આ આર્થિક ગણતરીની કામગીરીમાં પ્રથમવાર મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ આર્થિક ગણતરી કામગીરી અન્વયે ૩૦ જૂન-૨૦૨૦ સુધીમાં સર્વેક્ષણ તેમજ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બધી માહિતી એકત્રિત કરાશે. આ ગણતરી બાદ રાજ્યમાં ચાલતી વિવિધ આર્થિક પ્રવૃત્તિ અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લાવાર તથા પ્રવૃત્તિઓના પ્રકારવાર એકમોની સંખ્યા, તેમાં કામ કરતાં વ્યક્તિઓની જાતિવાર વિગત તથા અન્ય સંલગ્ન ઉપયોગી માહિતી ઉપલબ્ધ થશે જેના આધારે રાજ્યના આર્થિક-સામાજિક વિકાસ માટે જરૂરી નિર્ણયો લેવાશે. (AAJKAAL)